Mahiya

પણ તમે જુનાગઢ પંથકમાં ક્યાંથી આવ્યા ?”

નવાબના તેડાવ્યા આવ્યા'તા ભાઈ ! નવાબને એક કોર કાઠીની ભીંસ, બીજી કોર ચોરવાડ વેરાવળમાં રાયજાદા રજપૂતોનો દા બળે, ત્રીજી કોર બીલખાના ખાંટ ખાંડાં ખખડાવે, એ સહુની આડા દેવા નવાબે મહીયા નોતર્યા. કાઠી અને રાયજાદાનો તાન ઝલાવાથી મહીયા ત્રણ વાર તો આવી આવીને પાછા કુવાડવા ગયા. પણ આખરે મહીયાનાં નાકાં બંધાણાં. કાઠી ને રાયજાદાનાં જોર ભાંગ્યાં. મહીયાને ચોવીસી મળી. શેરગઢ, અજાબ અને કણેરી જેવાં અમારાં મોટાં મથક બંધાણાં. અમારૂં ટીલાત ખોરડું શેરગઢમાં વસવા લાગ્યું. આજ પણ અમારા આગેવાન ધારાભાઈના ગઢમાં થાન ભાંગ્યું તે દિવસનાં કાઠીશાઈ માળડા, ચંદરવા વગેરે મોજુદ છે. અમારે ઘેરે હડ્ય રહેતી. અમારા બે હજાર મહીયાના એક જ શ્વાસ : આજ તો એ વારા વહી ગયા. સમો પલટાઈ ગયો. કાયદા, કરારો અને કોરટો અમ ફરતા આંટા લઈ લીધા. ને આંહી કનડે ડુંગરે અમારાં ઢીમ ઢળી ગયાં.

“હાં ! હાં ! ઝટ એ વાત ઉપર આવો. અંધારાં ઘેરાય છે. ને આ ડુંગરાની ખાંભીઓ જાણે સજીવન થાય છે. મારૂં હૈયું થર રહેતું નથી. હું આ ધરતીને રોતી સાંભળું છું. કનડાની વાત કહો !”

સાંભળો ભાઈ, સંવત ૧૯૩૯ની સાલ સુધી મહીયો કર વેરા વિનાનો હતો. લીલાં માથાં ઉતારી આપનાર મહીયાને માથે લાગા નહોતા. પણ પછી તો નાગરોનો કારભાર જામ્યો, અને મહીયા ઉપર રાજની ચિઠ્ઠી ઉતરી કે કાંઈક કર તો તમારે રાજને ભરવો જ પડશે.”

આવી તવાઈના જવાબમાં શેરગઢથી અમારે આગેવાન અમરેભાઈએ લખી મોકલ્યું કે “મહીયાને નવા કર ન હોય, અમથી ખમાય નહિ.” [ ૧૪ ] તે વખત મહોબતખાનજી ગાદીએ. કુંવર બહાદૂરખાનજી શાહપૂર બાંધીને નોખા રહે. અમારા અમરાભાઈને તો બહાદૂરખાનજી 'ચીચા બાપુ' કહીને બોલાવે ને અમારા મહીયાના એક દીકરાને પોતાની પાસે જ રાખે. એવાં હેત ને એવી પ્રીત. એ બહાદરખાનજીએ અમરા મહીયાને કહેણ મોકલ્યું કે “ચીચા બાપુ ! તમે શાહપર આવો. આપણે વષ્ટિ કરીએ.”

અમરો મહીયો ઘોડીએ ચડી શાહપર ગયા. બહાદરખાનજીએ ઘણા ઘણા સમજાવ્યા. પણ ભાઈ ! સલાહ અવળી પડી ગઈ. પડખીઆએ અમરાભાઈને સમજાવી દીધા કે “રાતમાં ને રાતમાં દીકરાને લઈ શેરગઢ ભેળા થઈ જાઓ. નીકર ઠામ રે'શો !”

અમરો મહીયો દીકરાને લઈ ચોરી ચુપકીથી ચાલ્યો ગયો. સવારે બહાદરખાનને ખબર પડી. એને પડખીઆએ ભંભેર્યો. એટલે એને આ વાતની ખટક રહી ગઈ. મહોબતખાંનો દેહ પડ્યો, બહાદૂરખાં તખ્ત પર આવ્યા. પછી એના હુકમ છૂટ્યા કે “હાં, મહીયા કર ન કબૂલે તો એનાં ખળાં જપત કરો.”

અમારાં ખળાં પર જપ્તી બેઠી. પણ માથાકઢા મહીયા તો ચોરી છુપીથી ખળાં ખાવા લાગ્યા. ફરી હુકમ છૂટ્યો કે “એનાં ઘાસ ચારોળાં જપત કરો.”

પછી તો અવધિ આવી રહી. ઢોર ઢાંખર ઉપર જે ગુજારો ચાલતો તે અટકી ગયો.

માગશર મહિનાની મધરાતે અમે નીંદર કરતા હતા. ત્યાં અમારા ચારા પાસે એક સાંઢીયો ઝૂક્યો. અને અસ્વારે ડેલીએ આવી અવાજ દીધો કે “મહીયા ભાઈઓ, જાગો ! હવે ઉંઘવાનું ટાણું નથી રહ્યું."

બેબાકળા જાગીને અમે પૂછ્યું “કેમ ભાઈ ! ક્યાંનો સાંઢીયો ?”

“સાંઢીયો છે શેરગઢનો. અમરોભાઈએ કહેવાર્યું છે કે ઘેરે ઘેરથી અક્કેક મહીયો પ્રાગડના દોરા ફુટ્યે કનડા ડુંગરને માથે [ ૧૫ ] આવી પોગે. હું જાઉ છું. મારે આજ રાતોરાત જ આખી ચોવીસી ફરવી છે.”

“પણ ભાઈ, બારવટે ? કે રીસામણે?”

“રીસામણે. હથીઆર હોય તો પણ ઘેર મેલીને નીકળજો.”

એટલું કહીને સાંઢણી–સ્વાર ઉપડતે પગલે ચાલી નીકળ્યો.

અને પ્રાગડના દોરા ફુટતાંની વાર તો કનડાને માર્ગે ઘોડાં, સાંઢીયાં, ગાડાં અને પાળાએાની કતાર બંધાઈ ગઈ. ચોવીસ ગામમાંથી નવસો મહીયા કનડે રીસામણે મળ્યા. અમારા મુખીને એક જ બોલે અમે કટકા થઈ જનારા: અમે મહીયા તો અમારા સરદારના શબદ પર તોપે બંધાઈ જનારા: એક ઘર પણ પોતાનો જણ મોકલ્યા વિના ન રહ્યું.


“જ્યાં મોટો પુરૂષ ન હોય તેનું શું ?”

તો ઘરથી નાનો છોકરો આવે. તરસીંગડાવાળી બાઈઓએ ઘરમાં કોઈ પુરૂષ નહોતો તો દસ વરસનો દીકરો દઈ મેલ્યો'તો.

“એના ભેગી બે બેનો આવી હતી તે વાત સાચી ?”

એ વાતમાં મોટો ભેદ છે. હું હમણાં જ કહું છું. નવસો મહીયા કનડે બેઠા. એક દિવસ-બે દિવસ–ત્રણ દિવસ–એમ બેઠા જ રહ્યા. આસપાસ કાઠીનો મુલક: મધુવંતીને કાંઠે મેંદરડાનાં હાંડા જેવાં ગામડાં: વસ્તીને અમારી ભે તે બહુ લાગી કે મહીયા ક્યાંક લૂંટી ખાશે. પણ અમારા મુખી અમરાભાઈએ અમને કહી દીધું કે

“મહીયાના પેટનો હોય તે આંહી ભૂખ્યો મરી જાય, પણ લૂંટફાટ ન કરે.”

એટલો બોલ બસ હતો. અમારામાં યે ચોરી લૂંટ કરનારા હશે. અમારી મથરાવટી જ મેલી ગણાય. પણ કનડે તો અમે તપ તપવા મળ્યા'તા. ધણીની રામદુવાઈ લોપવામાં મહીયો મહા પાપ ગણતો'તો. અમે કનડા ઉપર પોષ મહિનાની ટાઢ્ય વેઠતા અને ગાંઠનું ખીચડું ખાતા બેઠા. મનમાં આશા હતી કે હમણાં [ ૧૬ ] અમારો ધણી જૂનાગઢથી ઉતરશે અને અમને મનામણાં મેલશે. વષ્ટિઓ આવવા પણ માંડી. રાજે અમને કહેવરાવ્યું કે “વીંખાઈ જાઓ. કનડો છોડી દ્યો. પછી તમારો વિચાર કરશું.”

અમે જવાબ વાળ્યો કે “મહીયા ધર્માદા નથી ખાતા, માથાં દીધા બદલની જમીન ખાય છે. આમ માથે નવા લાગા ન હોય. બાકી તો ધણી છો. બધું ય આંચકી લ્યો ને ! અમે બેઠા બેઠા જોશું. અમારે લૂણહરામી થઈને રાજ સામી સમશેરૂં નથી ખેંચવી.”

એવે સમે એક દિવસ મોણીઆ ગામથી શામળાભાઈ નામે ચારણ ઉતર્યા. મોણીયું એટલે તો આઈ નાગબાઈનું બેસણું : અને નાગઈ તો મહીયાની ઈષ્ટ દેવી : નાગઈ ઉપર અમારી હાડોહાડની આસ્થા : એ ચારણીનું છોરૂં તે આ શામળોભાઈ. શામળોભાઈએ રાજની ને અમારી વચ્ચે વષ્ટિયું લાવવા લઈ જવા માંડી. છેલ્લે દિવસ તો શામળાભાઈ અમને કસુંબા સાટુ અઢી શેર અફીણ સોત આપી ગયા. અને પોષ મહિનાની અજવાળી ચોથની રાત સૂસવતી હતી ત્યારે શામળોભાઈએ આશાભર્યો સંદેશો આણ્યો કે “વષ્ટિ લઈને રાજના મોટા અમલદાર કાલે પ્રભાતે મનામણે પધારશે. માટે હથીઆર ૫ડીઆર હોય તેટલાં આઘાં પાછાં કરી દેજો.”

“હથીઆર !” મોટા ચોટલાવાળા મહીયા જુવાનોની આંખો તાપણાંને અજવાળે ચમકી ઉઠી: “હથીઆર તો અમારા હાથમાંથી સરકારે સંવત ૧૯૨૯થી જ આંચકી લીધાં છે, શામળાભાઈ ?”

“આકળા મ થાવ જુવાનો !” શાણો સરદાર અમર મહીયો બેાલ્યો : “અને શામળાભાઈ ! હથીઆર હોય તોય આજ અમે વાપરવા નથી નીકળ્યા. આજ તો અમારે બેઠું બારવટું [ ૧૭ ] ખેડવું છે. આજ ધણીની સામે કાંઈ ઘા હોય ? અને તું તો અમારે ગૌ સ્વરૂપ : તું ચારણ આડો ઉભો હો ત્યાં હત્યા ન હોય. ખુશીથી સરકારના સરદારો પધારે.”

“અને હથીઆર લેવાં હોત તે આંહી કનડે શીદ બેસત ? ગર ક્યાં છેટી છે ?” એક જુવાન કળકળ્યો; “શું કરીએ ભાઈ ! આજ અમારો મુખી અમને ભામણપણાનું ભણતર ભણાવે છે.”

“મહીયા જુવાનો !” ચારણે ખાત્રી દીધી, “હું તમને ઠાલો રૂડું મનવવા નથી આવ્યો. રાજના પેટમાં કૂડ નથી દેખાતું. તમારાં રીસામણાં રાજને ભારે પડે તેવાં છે. તમારે એક જ ડગલાવામાં ગર પડી છે, એટલે જ આજ રાજનાં મનામણાં આવે છે. આજની રાત જંપીને ઉંઘજો.”

મહિના મહિનાના ઉજાગરા હતા. ભૂખ, ટાઢ ને તડકા ઘણાં ઘણાં વેઠ્યા હતા. ઘરના વિજોગ, ગરાસની ચિંતા અને મરવું કે મારવું તે વાતના વિચારો થકી મહીયા થાક્યા હતા. આજ નવ સો યે જીવ જંપી ગયા. કાલ તો કનડેથી ઉતરીને ઘરને છાંયડે જાવું છે : એવી ધરપત થકી મીઠી નીંદરે આંખો મળી ગઈ. ઘસઘસાટ નીંદર : પણ ત્યાં તો સૂરજની કોર ફુટતાં અમને સૂતેલાને કોણે જગાડ્યા ! મનામણાને મીઠે બોલે નહિ, પણ બંદૂકને સણસણાટે ! આટલી સેના ક્યાંથી ઉમટી ? કનડો ક્યારે ઘેરી લીધો ? રાતમાં ને રાતમાં આ હજારૂં હથીઆરવાળા ક્યાંથી ઉતાર્યા ! સંધવાડનાં સાંતી ને કોસ છોડાવી છોડાવીને શું હજારુંને મોઢે સંધી ઉતાર્યો ? ઝબકેલા મહીયામાંથી કેટલાકને પોતાનો ધર્મ સૂઝ્યો તે સામી છાતી પાથરીને ઉભા રહ્યા, ને બીજા દૃશ્ય ભૂલીને ડુંગરેથી દોટ દેતા ઉતરી ગયા. એંશી ને ચાર ચોરાશી જવાંમર્દો એક બોલ પણ બોલ્યા વિના ઉભા રહ્યા. એના લાંબા લાંબા ચોટલા ઝાલીને એક હારમાં બેસાર્યા. પછી માથાં કાપ્યાં–તરવારે નહિ હો, કૂવાડે. એની આ ખાંભીયું ભાઈ ! એ ખાંભીયું અમારે પૂજ્યાનાં ઠેકાણાં. ચોરાસી જણાએ જીવ દઈ જાણ્યા.



અને ઓલી બે બાઈઓની ખાંભીઓ વિષે શું?” [ ૧૮ ] હા, લોકો બોલે છે કે તરસીંગડાવાળા બાળ મહીયાને સાચવવા બે બેનો આવેલી મહિના સુધી એ બે જુવાનડીઓ પોતાના બાળા ભાઈને વીંટીને બેસી રહી હતી. સાત ખોટનો એક જ કલૈયા કુંવર જેવો એ ભાઈ હતો. કતલ ચાલી તે ટાણે “અમારા ભાઈને મારશે મા ! ભલા થઈને મારશો મા ! એને સાટે અમને મારી નાખો !” એવી કાળી વરાસ્યો નાખતી એ બેનોએ પોતાના ભાઈની કતલ કરનારાની આડા દેહ દીધેલા. એટલે એને પણ કાપેલી. પણ વળી કોઈક આ વાતને ખોટી ઠરાવે છે. મુખીઓ કહે છે કે એક મહિના સુધી કોઈ બાઈ માણસ અમારા સંઘમાં નહોતું. મુખીનો હુકમ જ નહોતો. તેમ છતાં ફોજવાળા વાતો કરે છે કે “અમે જ્યારે કાપતા હતા, ત્યારે એક નાની કુંવારિકા એક રૂડા રૂપાળા બાળ મહીયાની આડાં અંગ દઈને ધા નાખતી હતી કે મારા ભાઈને મ મારો ! મારા વીરને મ મારો ! એને સાટે મને મારો ! એને પણ અમે તો મારેલી. પછી ગાડામાં નાખીને અમે સહુનાં માથાં લઈ જતા હતા, ત્યારે પણ એક ગાડે એક આંગડીઆળી કુંવારકાનું શબ સુતેલું દેખાતું હતું. દેહ પર જખમ નહોતો, રગતનો છાંટો નહોતો, પણ મરેલી પડી હતી. કોણ જાણે કેમ થયું, પણ જૂનાગઢ પહોંચતા પહેલાં એ શબ અલોપ થઈ ગયું....... વોંકળો વળોટ્યા પછી અમે એને દેખી જ નહિ.'

આમ ગીસ્તવાળા વાતો કરતા હતા.

“કોણ હશે એ કુંવારકા ?”

બીજી કોણ ? આઈ નાગબાઈ ! પાંચ મહીયા મરે ત્યાં આઈ પણ ભેળી મરે છે. વારે વારે મરે છે બાપ ! મરી ન જાણ્યો એક શામળો ભાઈ ચારણ.

“ખૂટામણ હશે ?”

ના, ના, ના, ના ! હોય નહિ. કહેનારની જીભ કપાય. ચારણ છેતરાઈ ગયેલો. એ સમજ્યો નહિ. દગાની રમત એના કળ્યામાં ન આવી. એટલે એણે જોયું ને અમે કપાણા. [ ૧૯ ] “તો એણે મરવું'તું.”

હા, એણે મરવું'તું. પણ એને મરતાં આવડ્યું નહિ. આખી ચારણ કોમે એને ફટકાર દીધો.

“તમે મહીયા આ વાતને કેવા દિલથી યાદ કરો છો ?”

ઉજળા દિલથી. અમે જૂનાં વેર જગાડવા આ ખાંભીઓ નથી જુવારતા. અમે તો જુવારી જુવારીને સંભારીએ છીએ કે ખાનદાનીથી મેાતને શી રીતે ભેટાય છે. અમે મરી જાણવાના પાઠ ભણીએ છીએ. બાકી વેર કેવાં ? કડવાશ કેવી ? માનવી બિચારા કોણ માત્ર ? જે માનવી મત્ય ભૂલી જાય, તેના ધોખા શા હોય?” ખાંભીઓ અને ઇતિહાસની વાતો ઝેરવેર શીખવવા સાટુ ન્હોય.

“પછી રાજને માથે શું થયું ?”

અમારી સો બાઈઓ રાજકોટ ગઈ. જઈને સરકારને જાણ દીધી. સરકારનું કમીશન બેઠું. કૈંક રમત રમાણી. નવાબ ખા. બ. સાલેહ હિંદી અને બાપાલાલ ભાઈનો કારભાર તુટ્યો. સરકારને ઠપકો મળ્યો. થોડીક તોપની સલામો કમી થઈ, ને અમારા હક અખંડ રહ્યા. અમને એજન્સીની હકુમત હેઠળ લીધા. અમારે રાજને રૂા. ૫૭૮૦ ખરચ ભાગે આપવા ઠર્યા. ત્રણ વરસ પછી અમે રાજને કુલ સાઠ સાંતીની જમીન કાઢી આપીને એ કરમાંથી મોકળા થયા અને પાછા જુનાગઢ રાજ્યની હકુમતમાં આવ્યા. આજ અમારા ઉપર લાગો નામ ન મળે. આ અમારી કથની થઈ ભાઈ ! હાલો હવે, ચંદ્રમા ચડ્યો છે. શુરાપૂરાને જાગવાની વેળા થઈ છે. હવે આપણે ઉતરી જઈએ.”



Comments

Popular posts from this blog

About mahiya rajput

✍🏻 “કનડાને રીસામણે”✍🏻

ભાણબાપુની પ્રતિજ્ઞા પુરી કરવા માટે નાગબાઇ માઁ એ સુરજ નારાયણ ને તણ ઘડી રોકીદીધા હતા.. તેના લીધે તે ગામનું નામ તરઘડીયા પડ્યું હતું.. અને ભાણબાપુને સુરજ નું બીરુદ આપવામાં આવ્યું હતું *જય સુરજ ભાણ* *જય નાગબાઇ માઁ*